કેન્દ્રના મંત્રીમંડળમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ અને પ્રભાવ ઃ અતીત અને આજ Share
ગુજરાતના રાજકારણની વિશિષ્ટતા અને ઉદારતા એ છે કે કેટલાક રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગુજરાતી ન હોવા છતાં ગુજરાતમાંથી ચૂંટાઈને સંસદમાં ગયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએે કેન્દ્ર સરકારના મંત્રીમંડળનું તાજેતરમાં વિસ્તરણ કર્યું છે. મંત્રીઓની કુલ સંખ્યા ૭૮ની થઈ છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત ગુજરાતના મંત્રીઓની સંખ્યા ૭ થાય છે. આ વિસ્તરણમાં ઉત્તરપ્રદેશ, પછી ગુજરાતના મંત્રીઓની સંખ્યા વધુ છે. આ સંદર્ભમાં અતીતમાં અવલોકન કરીએ તો ગુજરાતનું સ્થાન ક્યાં હતું, કેવું હતું તેની રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે. આઝાદી પછીના આરંભના વર્ષોનો અભ્યાસ કરીએ તો કેન્દ્ર સરકારમાં ગુજરાતનો ભારે પ્રભાવ હતો. પ્રથમ લોકસભાના સ્પીકર દાદાસાહેબ માવળંકર હતા. નાયબ વડા પ્રધાનપદે સરદાર વલ્લભભાઈ પટેલ હતા. બંધારણસભાના અધ્યક્ષપદે સરદારના વડીલબંધુ વિઠ્ઠલભાઈ પટેલ હતા. મૂળ હરિયાણાના પણ કાર્યક્ષેત્રે ગુજરાત એવા ગુલઝારીલાલ નંદા ૧૯૫૨ અને ૧૯૫૭માં સાબરકાંઠામાંથી ચૂંટાઈને લોકસભામાં સંસદસભ્ય બન્યા હતા અને ક્રમશઃ ગૃહ, આયોજન, સિંચાઈ, નાણાં ખાતાના પ્રધાન બનેલા. મંત્રીમંડળમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા હતા. વડા પ્રધાન નહેરુ વિદેશ પ્રવાસે ગયા તે દરમિયાન બે વાર કાર્યકારી વડા પ્રધાન પણ બન્યા હતા. * મોરારજીભાઈ દેસાઈ ૧૯૭૭માં વડા પ્રધાન બન્યા તે પહેલાં કેન્દ્રમાં ૧૯૫૬થી ૧૯૬૯ના સમયગાળા દરમિયાન વેપાર, ઉદ્યોગ, નાણાં અને નાયબ વડા પ્રધાન હતા. * કનૈયાલાલ મુનશી ૧૯૫૦થી ૧૯૫૨ સુધી નેહરુ મંત્રીમંડળમાં અન્ન અને કૃષિ ખાતાના કેબિનેટ મંત્રી હતા. વૃક્ષારોપણ એ એમની દેણ છે. * અશોક મહેતા ૧૯૬૬થી ૧૯૬૮ સુધી એ પછી મોરારજીભાઈના શાસનમાં પેટ્રોલિયમ મંત્રી હતા. * મનુભાઈ શાહ ૧૯૫૬થી ૧૯૬૬ સુધી ઉદ્યોગ અને વેપાર વિભાગના મંત્રી હતા. * જયસુખલાલ હાથી ૧૯૫૨થી ૧૯૬૯ સુધી સિંચાઈ, વીજળી લેબર, ડિફેન્સ, રોજગારી, ગૃહ વગેરે વિભાગમાં નાયબ મંત્રી, રાજ્યમંત્રી હતા. * ખંડુભાઈ દેસાઈ ૧૯૫૪થી ૧૯૫૭ સુધી લેબર મિનિસ્ટર હતા. * કે.કે. શાહ ૧૯૬૭થી ૧૯૭૧ સુધી માહિતી અને પ્રસારણ, આરોગ્ય પરિવાર નિયોજન ખાતાના મંત્રી હતા. * હિતેન્દ્રભાઈ દેસાઈ ૧૯૭૬થી ૧૯૭૭ અને ૧૯૭૯થી ૧૯૮૦ સુધી હાઉસિંગ, કોમર્સ, સિવિલ સપ્લાય વિભાગના મંત્રી હતા. * એચ.એમ. પટેલ ૧૯૭૭થી ૧૯૭૯ સુધી નાણાં, રેવન્યૂ તેમજ ગૃહખાતાના મંત્રી હતા. * ઘનશ્યામ ઓઝા ૧૯૭૧થી ૧૯૭૨ સુધી ઉદ્યોગ વિભાગના મંત્રી હતા. * માધવસિંહ સોલંકી ૧૯૮૮થી ૧૯૮૯ આયોજન વિભાગના મંત્રી એ પછી ૧૯૯૦માં વિદેશપ્રધાન તરીકે કામ કર્યું હતું. * એમ.સી.શાહ ૧૯૫૨થી ૧૯૫૭ સુધી નાણાવિભાગમાં નાયબમંત્રી હતા. * શંકરસિંહજી વાઘેલા ૨૦૦૪થી ૨૦૦૯ સુધી ટેક્સ્ટાઇલ વિભાગમાં કેબિનેટ મંત્રી હતા. * દિનશા પટેલ ઃ ૨૦૦૬થી ૨૦૦૯ તેમજ ૨૦૧૧ થી ૨૦૧૪ દરમિયાન પેટ્રોલિયમ, નેચરલ ગેસ, ખાણ-ખનીજ ખાતામાં પ્રારંભમાં રાજ્યમંત્રી એ પછી કેબિનેટ મંત્રી હતા. * મનુભાઈ કોટડિયા ૧૯૮૯-૧૯૯૧ સુધી જળસંસાધન તેમજ ટ્રાન્સપોર્ટ વિભાગમાં પ્રારંભમાં રાજ્યમંત્રી પછી કેબિનેટ મંત્રી હતા. * મહિલાઓમાં ઊર્િમલાબહેન પટેલ, ભાવનાબહેન ચીખલિયા અને કુમુદબહેન જોશીનો મંત્રી તરીકે વરણી નોંધપાત્ર છે. ઉપરોક્ત વ્યક્તિ વિશેષો ઉપરાંત અન્ય ખમતીધર ગુજરાતીઓ કેન્દ્ર સરકારમાં મંત્રીપદ પામ્યા છે. જેની યાદી લાંબી છે પરંતુ કેટલાંક નામ ઉલ્લેખનીય છે. જેમાં હિંમતસિંહજી ઓફ માણસા, યોગેન્દ્ર મકવાણા, એહમદ પટેલ, જશવંત મહેતા, એચ.એમ. ત્રિવેદી, બી.કે. ગઢવી, જે.વી. શાહ, મગનભાઈ બારોટ, દિગ્વિજયસિંહજી. પ્રભુદાસ પટેલ, નરેન્દ્રસિંહજી મહિડા, ચીમનભાઈ મહેતા, ઉત્તમભાઈ પટેલ, શાંતિલાલ પટેલ, વલ્લભભાઈ કથીરિયા, હરિન પાઠક, નારણ રાઠવા, કાશીરામ રાણા, એ.કે. પટેલ, તુષાર ચૌધરી, ભરતસિંહ સોલંકી વગેરેના નામો સ્મરણપટ પર અંકિત થાય છે. પ્રધાનપદની વ્યાખ્યામાં કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી, નાયબ મંત્રી અને સંસદીય મંત્રીનો સમાવેશ થાય છે. ગુજરાતના રાજકારણની વિશિષ્ટતા અને ઉદારતા એ છે કે કેટલાક રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગુજરાતી ન હોવા છતાં ગુજરાતમાંથી લોકસભા- રાજ્યસભામાં ચૂંટાઈને કેન્દ્ર સરકારમાં ઉચ્ચપદ પામ્યા છે. જેમાં એસ.કે. પાટિલ, અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, પ્રણવ મુખરજી, રવીન્દ્ર વર્મા, વી.સી. શુકલા વગેરે વ્યક્તિ વિશેષોનો સમાવેશ થાય છે. તો બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત બહારથી એટલે કે ઉત્તરપ્રદેશના વારાણસીમાંથી ચૂંટાઈને વડાપ્રધાન પદ પામ્યા છે. એક હકીકત પણ સ્વીકારવી જોઈએ કે ભારતની સ્વતંત્રતા પછીનાં થોડાંક વર્ષો દરમિયાન કોંગ્રેસ પાસે એકથી વધુ રાષ્ટ્રીય સ્તરના નેતાઓ હતા. ગાંધીજીએ પંડિત નહેરુ પર પસંદગી ન ઉતારી હોત તો ગુજરાતના નસીબે અને ભારતના હિતમાં દેશના પહેલાં વડા પ્રધાન ‘હું ગુજરાતી ભારતવાસી એવા સરદાર પટેલ હોત !’ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ સુધીની રાષ્ટ્રીય સરકારમાં સરદાર પટેલની ઉજ્જવળ શાસનશૈલી અને પ્રભાવક સમજશૈલી ઇતિહાસના પાનાઓ ઉપર નોંધાયેલી છે કે સરદાર પટેલે દેશ આખાની એકતા, અસ્મિતા અને અખંડિતતા માટે કુનેહપૂર્વક કામ કરી બતાવ્યું એટલું જ નહીં ભાવિ ભારતના સુશાસન માટેની ઇમારતના પાયાની ઈંટ મજબૂત રીતે ચણી આપી. આઝાદી પછી માત્ર ચાર વર્ષ અને ત્રણ માસનું આયુષ્ય ભોગવનાર સરદાર પટેલ ગુજરાતનું ગૌરવ હતા પરંતુ દેશના એ ભારતરત્ન હતા, ભાગ્ય વિધાતા હતા. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 39744 Views 24180 Views 21916 Views 20052 Views