The Head Of The ICMR's Epidemiology Department Says Corona's Third Wave Will Not Come Because Of The Delta + Variant, The Third Wave Will Not Be As Deadly As The Second.
ભાસ્કર એક્સક્લુઝિવ:ICMRના મહામારી વિભાગના હેડ કહે છે- કોરોનાનો થર્ડ વેવ ડેલ્ટા+ વેરિએન્ટના લીધે નહીં આવે, ત્રીજી લહેર બીજીની જેમ ઘાતક પણ નહીં હોય
32 મિનિટ પહેલાલેખક: રવિ યાદવ
કૉપી લિંક
દેશ માટે ઘાતક સાબિત થયેલી કોરોનાની બીજી લહેર પછી હવે સમગ્ર દેશમાં ત્રીજી લહેરની ચર્ચા છે. દરેક જગ્યાએ સવાલ છે કે ત્રીજી લહેર કેટલી ઘાતક હશે. ત્રીજી લહેર અને કોરોના વાયરસના નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઈને ભાસ્કરે ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ના મુખ્ય વૈજ્ઞાનિક સમીરન પાંડા સાથે વાત કરી. ડોક્ટર પાંડાએ કહ્યું કે ‘અત્યાર સુધીના સંકેતો અનુસાર, દેશમાં ત્રીજી લહેર બીજી લહેરની જેમ ઘાતક નહીં હોય, પરંતુ એવું ત્યારે થશે જ્યારે લોકો કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરશે.’ વાંચો સમગ્ર વાતચીત...
સવાલઃ કોરોનાની ત્રીજી લહેર પર તમારૂં શું કહેવું છે?
જવાબઃ ત્રીજી લહેર આવશે કે નહીં, એ આપણા વર્તન પર નિર્ભર કરે છે. કોરોનાની ત્રીજી લહેર આવવાના અનેક કારણો હોઈ શકે છે. વાયરસનો નવો વેરિએન્ટ અગાઉની ઈમ્યુનિટીને થાપ આપી શકે છે, જેનાથી કેસની સંખ્યા અચાનક વધી શકે છે. અથવા વાયરસ પ્રત્યે જે ઈમ્યુનિટી હાંસલ કરી છે, તે ધીમે ધીમે ઘટી જાય. નવો વેરિએન્ટ જો વધુ ચેપી હોય તો થોડા જ સમયમાં ઝડપથી કેસ વધારી શકે છે.
એક અન્ય કારણ એ હોઈ શકે છે કે સેકન્ડ વેવના સમયે જે લોકડાઉન લગાવાયું હતું, તેને ઉતાવળે હટાવવામાં આવ્યું. તેના પછી જો લોકો પણ માસ્ક વિના કે સોશિયલ ડિસ્ટન્સિંગ વિના બેદરકારી દાખવશે તો કેસની સંખ્યા ઝડપથી વધી જશે.
આ કેસ વધવાના કારણ અંગે વાત થઈ, પરંતુ આપણે જે મોડેલિંગ એક્સરસાઈઝ કરી છે, તેમાં જોયું કે ત્રીજી લહેર આવશે તો પણ બીજી લહેરની જેમ ઘાતક નહીં હોય. વેક્સિનેશનની ઝડપ હજુ પણ વધારવી જોઈએ. આનાથી ત્રીજી લહેર બીજી લહેરનાં આંકડા સુધી નહીં પહોંચી શકે.
સવાલઃ શું ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ત્રીજી લહેરનું કારણ બની શકે છે?
જવાબઃ મને લાગતું નથી કે ત્રીજી લહેરનું કારણ ડેલ્ટ પ્લસ બને. અત્યાર સુધી આ વેરિએન્ટના 50 જેટલા જ દર્દી મળ્યા છે. જે વિસ્તારોમાં આ કેસ મળ્યા છે, તેનું એનેલિસિસ જોઈને લાગતું નથી કે આ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં એમ કહેવું કે તેના કારણે ત્રીજી લહેર આવશે, એ ઉતાવળ ગણાશે. ડેલ્ટ વેરિએન્ટ ઝડપથી ફેલાવાની વાત તો આપણને બીજી લહેરથી જ જાણમાં છે. ત્રીજી લહેરથી બચવું છે તો વેક્સિન અને કોવિડ ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવું પડશે.
સવાલઃ શું દેશમાં હાલ ઉપલબ્ધ વેક્સિન ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પર અસરકારક છે?
જવાબઃ અત્યાર સુધી ઉપલબ્ધ ડેટા અનુસાર, તેમાં કોઈ શંકા નથી કે આપણી વેક્સિન ડેલ્ટા વેરિએન્ટ પર કારગત છે. ડેલ્ટા પ્લસ પર કેટલી અસરકારક હશે, આંકડા વિના એમ કહેવું ઉતાવળ ગણાશે. આ અંગે રિસર્ચ ચાલી રહ્યું છે, થોડા સમય પછી પ્લસ વેરિએન્ટ પર વેક્સિનની અસર વિશે સંપૂર્ણ માહિતી આવી જશે.
સવાલઃ 12થી 18 વર્ષના બાળકોની વેક્સિનની શક્યતા ક્યાં સુધીમાં છે?
જવાબઃ અત્યારે તેના પર મેડિકલ ટ્રાયલ ચાલી રહી છે. તેના પરિણામો આવ્યા પછી જ કંઈ કહેવું યોગ્ય ગણાશે. આ બાળકોનો મામલો છે, તેમાં આપણે ધીરજથી કામ લેવું જોઈએ.
સવાલઃ શું ત્રીજી લહેર બાળકો માટે ઘાતક બનશે?
જવાબઃ ત્રીજી લહેર બાળકો માટે ઘાતક હશે કે નહીં, એ હું નહીં કહી શકું પરંતુ રિસર્ચ કહે છે કે ત્રીજી લહેર વધુ ઘાતક નહીં હોય. જો વેક્સિનેશનની ઝડપ વધારી દેવામાં આવે તો ત્રીજી લહેરને ઘણા ખરા અંશે કંટ્રોલ પણ કરી શકાય છે.
સવાલઃ અનેક જગ્યાએ નકલી વેક્સિનેશનના સમાચારો આવી રહ્યા છે, તેના વિશે તમારૂં શું કહેવું છે?
જવાબઃ નકલી કોઈપણ ચીજ હોય એ ખાનપાનની હોય કે અભ્યાસમાં હોય. દવાઓ-વેક્સિનેશનની સાથે જે લોકો એવું કરી રહ્યા છે, એવા લોકોને જેલમાં નાખી દેવા જોઈએ. ભેળસેળ કોઈ પણ કિસ્સામાં સહન ન કરી શકાય.
સવાલઃ શું આપણી વેક્સિન લગાવવાની ગતિ એટલી ઝડપી છે કે ત્રીજી લહેર આવતા પહેલા આપણે સૌને વેક્સિન લગાવી દઈશું?
જવાબઃ ત્રીજી લહેર ત્રણ મહિના પછી આવે કે છ મહિના પછી આવે. એ વધુ ઘાતક નહીં રહે. માની લો કે વેક્સિન બધાને લાગી નથી અને ત્રીજી લહેર આવી ગઈ તો પણ નુકસાન વધુ નહીં થાય. વેક્સિન લોકોને ઝડપથી લગાવાઈ રહી છે. ઘણા લોકોને નેચરલ ઈન્ફેક્શન થયું છે. એવામાં એક લેવલની ઈમ્યુનિટી બની ગઈ છે.
દેશના લોકોએ કોરોના સામે જંગ જીતવા માટે માત્ર એટલું કરવાનું છે કે માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ કરે. તેને ગળામાં ન પહેરે, યોગ્ય રીતે મોં-નાક પર લગાવે. હાથ સેનેટાઈઝ કરતા રહે. દેશના લોકોએ સાવધાની રાખવાની રહેશે. કેમકે આપણે જીતેલી મેચ હારવાની નથી.
અન્ય સમાચારો પણ છે...