Share
આદિવાસી સમુહમાંથી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલપદે નિયુક્તિના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમના નામ ચર્ચામાં પણ નહોતા તેવા ત્રણ સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન આપીને ચોંકાવ્યા છે. મંત્રીમંડળના વિસ્તરણમાં રાજ્યમંત્રી તરીકે કાર્યરત મનસુખ માંડવિયા અને પુરસોત્તમ રૂપાલાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન સાથે જ વડાપ્રધાને સુરતથી દર્શના જરદોશ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરથી ડો.મહેન્દ્ર મુંજપરા એમ ત્રણને રાજ્યમંત્રી તરીકે સમાવ્યા છે.
૪૮ કલાકના આ મોદીએ જ તૈયાર કરેલા ગુજરાત ભાજપના સોશિયલ એન્જિનિયરિંગમાં વિધાનસભા- ૨૦૨૦ માટેનું ઓઈલ પુર્યાનું ચિત્ર ઉપસ્યુ છે. વિવિધ જ્ઞાતિ અને વર્ગ વિશેષ સમુહમાંથી ગુજરાતમાં ”મુખ્યમંત્રી તો અમારો જ હોવો જોઈએ”ના નિવેદનો વચ્ચે મોદીએ બંને પાટીદારોને ભારત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પ્રમોટ કરી અને OBC સમુહની જ્ઞાતિઓમાંથી આવતા ત્રણ સાંસદોને પોતાની સરકારમાં સમાવીને માસ્ટર સ્ટ્રોક માર્યાનુ કહેવાય છે.
મોદી સરકારના વિસ્તરણથી ગુજરાતમાં માત્ર ક્ષેત્ર અને સામાજીક સંતુલન જ નહિ, સ્વતંત્ર ભારતમાં પહેલીવાર કેન્દ્ર સરકારમાં ગુજરાતી પ્રતિનિધિત્વનું વજન વધ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ઉત્તરપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના સિવાય ૮૨ના મંત્રીમંડળમાં અમિત શાહ સહિત ગુજરાતમાંથી ચૂંટાયેલા મંત્રીઓની સંખ્યા વધીને સાત થઈ છે. જે ઐતિહાસિક છે.
ગુજરાતના પાંચેય પ્રદેશ,
સમૂહના સમાવેશનો પ્રયાસ
ભાજપની સરકારોમાં સામાન્યપણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો જ દબદબો હોય છે પણ ત્રણ ઓબીસી સમુહના સાંસદોને મંત્રી તરીકે ભારત સરકારમાં પ્રતિનિધિત્વ સાથે જ ગુજરાતમાં પાંચેય પ્રદેશ અને જ્ઞાતિ, વર્ગ વિશેષ સમૂહ વચ્ચે સંતુલન સાધવામાં આવ્યુ છે.
હવે રૂપાણી સરકારમાં વિસ્તરણ નહીં માત્ર બોર્ડ- નિગમોમાં જ પદો ભરાશે
લાંબા સમયથી રૂપાણી સરકારમાં મંત્રી તરીકે સ્થાનની રાહ જોનારા ભાજપના સિનિયર ધારાસભ્યો માટે ૧૪મી વિધાનસભાની આખી ટર્મ એમનેમ પુર્ણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારમાં જે વિસ્તારો અને સમુહને પ્રતિનિધિત્વ નથી મળ્યુ તેવા ક્ષેત્રો અને સમુહોમાંથી આવતા સાંસદોને ભારત સરકારમાં મંત્રી તરીકે પોતાની સાથે કામ કરવાની તક આપતા અહીં ગુજરાતમાં રૂપાણી સરકારમાં વિસ્તરણની શક્યતાઓ ઉપર પૂર્ણ વિરામ મુકાયુ છે. જો કે, ૧૪ મહિના પછી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને રાખીને બોર્ડ- નિગમોમાં રાજકિય નિયુક્તિ નિશ્ચિત છે.
યાદવને મંત્રીપદ,
પ્રદેશ
માં નવા પ્રભારી નિમાશે
મંત્રીમંડળના વિસ્તરણમાં રાજસ્થાનના એમપી ભૂપેન્દ્ર યાદવનો પણ સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર યાદવ ગુજરાત ભાજપના પ્રભારી છે. હવે તેમણે કેન્દ્રમાં મંત્રીપદ ધારણ કરતા ગુજરાત ભાજપ માટે રાષ્ટ્રીય સ્તરેથી નવા પ્રભારીની નિમણૂંક કરવામા આવશે.
લોકસભાના ૨૬માંથી ૪,
રાજ્યસભામાં ૯માંથી ૩ એમ કુલ ૭ સ્ઁ કેન્દ્રમાં મંત્રી
લોકસભામાં ગુજરાતના ૨૬માંથી ૨૬ સાંસદો ભાજપના છે. જેમાંથી ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડો.મહેન્દ્ર મુંજપરાને મંત્રી તરીકે સરકારમાં કામ કરવાની તક મળી છે. રાજ્યસભામાં ગુજરાતના ૧૧માંથી ભાજપના ૯ સાંસદો પૈકી એસ.જયશંકર ભારતના વિદેશ મંત્રી છે. પહેલાથી રાજ્ય મંત્રીપદે રહેલા મનસુખ માંડવિયા અને પુરસોત્તમ રૂપાલાનો હવે કેબિનેટમાં સમાવેશ થયો છે. આમ, ભારત સરકારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ૭ સાંસદોને મંત્રીપદ મળ્યુ છે.
મંત્રીપદ મેળવનાર ૩ કોણ અને કેમ ?
જરદોશ : મૂળ સુરતીઓને અન્યાયનું મહેણું તૂટયું
ભાજપમાં દક્ષિણ ગુજરાતના સ્ઁ, સ્ન્છ અને સંગઠનના આગેવાનોમાં અન્યાયની લાગણી કાયમ રહી છે. કાશીરામ રાણા બાદ મુળ સુરતીઓ નેતાને કેન્દ્ર કે રાજ્યમાં પ્રતિનિધિત્વ મળ્યુ નથી. આ મ્હેણું મોદીએ તોડયુ છે. સાંસદની ત્રીજી ટર્મમાં દર્શના જરદોશને મંત્રીપદ મળ્યુ છે. સુરતમાં ફોટોગ્રાફર, કોર્પોરેટરથી કેન્દ્રમાં મંત્રીપદે પહોંચનારા જરદોશની પારિવારીક પૃષ્ઠભૂમિકા સ્વાતંત્ર્ય સેનાની અને મહાગુજરાત અભિયાનના ચળવળકર્તા સાથે જોડાયેલી છે.
દેવૂસિંહ : મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની ખામ થિયરી તૂટશે
એક સમયે દૂરદર્શન-આકાશવાણીની નોકરી છોડી ચૂંટણી લડનારા દેવુસિંહ ચૌહાણ એક સમયે કોંગ્રેસના ઈશ્વર ચાવડા, ભરતસિંહ સોંલકીના ચૂસ્ત ટેકેદાર હતા. વર્ષ ૨૦૦૭માં મધ્ય ગુજરાતમા ખામ થિયરીને કારણે અકબંધ રહેલા મધ્ય ગુજરાતમાં ખેડા- આણંદના ગઢને તોડવા નરેન્દ્ર મોદી દેવુસિંહને ભાજપમાં લઈ આવ્યા હતા. ભાજપમાંથી તેઓ વિધાનસભામાં બે ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. લોકસભાના સંસદ તરીકે બીજી ટર્મમાં તેમને મંત્રીપદ મળ્યુ છે.
ડો.મુંજપરા : સૌરાષ્ટ્રના કોળી બેલ્ટમાંથી વગર માંગ્યે મંત્રીપદ
સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાનો રાજકિય ભૂતકાળ રહ્યો નથી. વ્યવસાયે તબીબ અને રાષ્ટ્રીય સ્વંય સંઘ સાથે જોડાયેલાડો.મુંજપરાની આ પહેલી ટર્મ છે, ઉત્તર સૌરાષ્ટ્રમાં અને વિશેષતઃ વિરમગામથી મોરબી વચ્ચેના કોળી બેલ્ટમાંથી રાજ્યની સરકારમાં મંત્રી તરીકે કોઈ જ પ્રતિનિધિત્વ નથી. પછાત સમાજ અને વિસ્તારમાંથી આવતા શિક્ષિત સાંસદને સરકારમાં સ્થાન આપી ભાજપમાં કાયમ પદ, પોર્ટફોલિયાની માંગણી કરતા નેતાઓને સ્પષ્ટ સંકેત આપ્યો છે.
સૌરાષ્ટ્ર : CM સહિત ૧૨ નેતા પાવરમાં : કેન્દ્રમાં બે પાટીદાર કેબિનેટ મંત્રી. રાજ્ય સરકારમાં ૩ પાટીદાર કેબિનેટમાં, રાજ્યકક્ષામાં ત્રણ OBC, ૧-૧ બ્રાહ્મણ, પાટીદાર, ક્ષત્રિય એમ કુલ ૧૨નો સમાવેશ છે.
કચ્છ : વાસણ આહિર, ગુજરાત રાજ્યમાં મંત્રી
ઉત્તર ગુજરાત : ડે.CM સહિત ૩ પાવરમાં ગૃહમંત્રી અમિત શાહ, ડે.CM નીતિન પટેલ, રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર.
મધ્ય ગુજરાત : અધ્યક્ષ સહિત ૬ પાવરમાં વિધાનસભા અધ્યક્ષ (બ્રાહ્મણ), એક કેન્દ્રીય મંત્રી (OBC), રાજ્ય સરકારમાં પાટીદાર, ક્ષત્રિય અને બે OBC રાજ્યમંત્રી.
દક્ષિણ ગુજરાત : પ્રદેશ પ્રમુખ, ૫ મંત્રીઓ ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપરાંત સુરતથી OBC સમુહના સાંસદને કેન્દ્ર મંત્રીપદ, રાજ્ય રાજ્યમાં બે ST અને એક SC અને એક પાટીદાર સમુહ એમ છ મંત્રી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 8, 2021